દેશની એકતા અને અખંડિતતાને પ્રોત્સાહન આપવા ‘સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર-૨૦૨૬’ અપાશે
રાષ્ટ્રીય એકતા માટે નોંધપાત્ર યોગદાન આપનાર ભારતના નાગરિકો, સંસ્થાઓ અને સંગઠનો તા. ૩૧ જુલાઈ, ૨૦૨૬ સુધી કરી શકશે ઓનલાઈન અરજી

ભારતની એકતા અને અખંડિતતાને વધુને વધુ પ્રોત્સાહન આપવાના તેમજ આ ક્ષેત્રે વિશિષ્ટ અને નોંધપાત્ર યોગદાન આપનાર નાગરિકો કે સંસ્થાઓને સન્માનિત કરવાના ઉમદા હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા સંસ્થાપિત ‘સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર – ૨૦૨૬’ એનાયત કરવામાં આવશે. આ પુરસ્કાર માટે પાત્રતા ધરાવતા હોય તેવા દેશના કોઈ પણ નાગરિકો, સંસ્થાઓ અને સંગઠનો આગામી તા. ૩૧ જુલાઈ, ૨૦૨૬ સુધીમાં માત્ર ઓનલાઈન પોર્ટલ www.awards.gov.in પર ઉપલબ્ધ નિયત નમૂનામાં નામાંકન કે ભલામણ મોકલી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની આગામી જન્મજયંતી એટલે કે તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે આ પુરસ્કારની જાહેરાત કરવામાં આવશે. રાજ્યના તમામ યોગ્ય અને પાત્રતા ધરાવતા નાગરિકો કે સંસ્થાઓ આ માટે સમયસર ઓનલાઈન નામાંકન કરે તે માટે ગૃહ વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
—–




