ગાંધીનગરગુજરાતરાજનીતિ

કોંગ્રેસની ટ્રેક્ટર રેલીમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ

ગાંધીનગર જવાની મંજૂરી ન મળતા રોષ, JCBથી રેલી રોકવાનો પ્રયાસ

ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે દેખાવો કરવા માટે આજે (15મી જૂન) અમદાવાદના શાંતિપુરા સર્કલથી ગાંધીનગર સુધી 1111 ટ્રેક્ટર રેલી કાઢીને સાથે કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યો છે. જેમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા છે. કોંગ્રેસે જણાવ્યાનુસાર, સરકાર કહે છે જગતનો તાત પરંતુ તેને અવારનવાર પડે છે સરકારની લાત. સરકારની આયોજન વગરની નીતિના કારણે ખેડૂત પિસાઈ રહ્યા છે. ગુજરાત સરકારના મંત્રરીઓ, અધિકારીઓ અને પોલીસ બળજબરીથી ખેડૂતોના ખેતરમાં કંપનીની લાઈનો નખાવી રહ્યા છે. નોંધનીય છેકે, કોંગ્રેસની ટ્રેક્ટર રેલીને ગાંધીનગર સુધી જવાની મંજૂરી અપાઈ નથી. ત્યારે આ રેલી ઓગણજ ખાતે આવેલા શતાબ્દી મહોત્સવ મેદાન સુધી જવાની જ મંજૂરી આપવામાં આવી છે.

ગાંધીનગર ખાતે 1111 ટ્રેક્ટરો સાથે એકઠા થશે    મળતી માહિતી મુજબ, કિસાન કોંગ્રેસ – કિસાન સંઘર્ષ સમિતિના સંયુક્ત નેજા હેઠળ ખેડૂત અધિકાર ટ્રેક્ટર રેલી યોજી છે. 1111 ટ્રેક્ટરો સાથે આ રેલી શાંતિપુરા ચોકડીથી ઓગણજ ખાતે આવેલા શતાબ્દી મહોત્સવ મેદાનમાં પહોંચશે, જ્યાં ખેડૂત સભાનું આયોજન કરાયું છે. નોંધનીય છે કે, કોંગ્રેસની ટ્રેક્ટર રેલીને ગાંધીનગર સુધી જવાની મંજૂરી અપાઈ નથી.

ખેડૂત રેલીમાં ભારે હોબાળો     અમદાવાદના શાંતિપુરાથી શરૂ થયેલી આ રેલીમાં હંગામા અને ભારે ઘર્ષણના અહેવાલો સામે આવી રહ્યા છે. આ ટ્રેક્ટર રેલીને ગાંધીનગર સુધી લઈ જવાની વહીવટી તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી નથી, જેને પગલે પોલીસે કૂચ કરી રહેલા ખેડૂતોને JCBથી અધવચ્ચે જ અટકાવ્યા છે. પોલીસની આ કાર્યવાહીથી રોષે ભરાયેલા ખેડૂતો અને કાર્યકર્તાઓએ સ્થળ પર જ ભારે હોબાળો શરૂ કરી દીધો હતો. રેલીમાં જોડાયેલા ખેડૂતોએ મક્કમ વલણ અપનાવતા સ્પષ્ટ કહી દીધું છે કે, ‘અમે ઓગણજ સભામાં નહીં જઈએ, અમે તો ગાંધીનગર જઈને જ રહીશું.’

ગેનીબહેન ઠાકોરના સરકાર પર પ્રહાર
ટ્રેક્ટર રેલી દરમિયાન કોંગ્રેસ સાંસદ ગેનીબહેન ઠાકોરે જમાવ્યું હતું કે, ‘સમગ્ર ગુજરાતનો ખેડૂત આજે રોડ ઉપર આવી ગયો છે. ત્યારે એની જે સહનશીલતાની જે પરાકાષ્ઠા કહેવાય, એ પરાકાષ્ઠા હવે હદ ઉપર જતી રહી છે. મોરબીમાં મહિલાઓને બેફામ રીતે પોલીસે લાઠીચાર્જ કરી માર માર્યો હતો. આવું દયાહીન પગલું, આવું તો હિટલરશાહી… હિટલર હતો તો પણ આટલી હદે એનું દમન નહોતું થતું અને આજે જગતના તાત ઉપર જ્યારે લાઠીઓ વરસી રહી છે. ત્યારે ખેડૂતની આ હાય ક્યારેય ખાલી ન જાય. ખેડૂતો હવે જ્યારે મેદાનમાં આવ્યા છે ત્યારે એની જે માંગ છે એ સરકાર સ્વીકારે અને નહીં સ્વીકારે તો જલવંત આંદોલન કરી અને ખેડૂતોને ન્યાય મળે એ માટે કોંગ્રેસ પાર્ટી અને વિવિધ સંગઠનો ન્યાય અપાવવા માટેનું કામ કરશે.’

સરકાર પર પ્રહારો કરતા કોંગ્રેસ સાંસદ ગેનીબહેન ઠાકોરે જમાવ્યું હતું કે, ‘બંધારણમાં આપણને કોઈપણ વ્યક્તિને, કોઈપણ લોકોને અન્યાય થાય તો એને શાંતિપૂર્વક અને એક શાંતિપૂર્ણ વાતાવરણમાં આંદોલન કરવા માટેની જોગવાઈ છે. અને ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને ખેડૂતોની જે માંગણી હોય એ સરકાર સુધી પહોંચાડવા બંધારણીય અધિકાર છે. પરંતુ અધિકારોનું ક્યાંકને ક્યાંક હનન થઈ રહ્યું છે, બંધારણનું હનન થઈ રહ્યું છે. લાંબા સમય સુધી ખેડૂતો અને તમામ લોકો સાથે અન્યાય થાય છે તેને દબાવવાના પ્રયત્નો કરશો તો આવનાર સમયની અંદર આ નેપાળ વાળી થવામાં હવે વાર નથી. ભારતમાં કોઈ રાજ્ય એવું નથી કે જ્યાં આંદોલનો નથી થતા. ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હજુ પણ ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, જે ખેડૂતોને તમારા માનીતા જે કંપનીઓ વાળા છે એની પાસેથી તમે કરોડો રૂપિયાનું ફંડ લઈને જે ખેડૂતોને હેરાન કરવા માટેનો પ્રયત્ન ના કરો અને ઉદ્યોગપતિઓ ડેવલપ થાય એમાં વાંધો ના હોય,પરંતુ ખેડૂતોના નુકસાનના ભોગે અને ખેડૂતો ઉપર દાદાગીરી કરીને, એમના ઉપર લાઠીચાર્જ વરસાવીને કોઈ આવા વિકાસની જરૂર મને લાગતી નથી.’

રેલીમાં એ.આઈ.સી.સી. સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઈ, પાલ આંબલિયા, જયેશ પટેલ, મહેશ રાજકોટિયા, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓ યાત્રાના સંકલન અને આયોજનમાં મહત્વપૂર્ણ જવાબદારી સંભાળશે. ખેડૂત અધિકાર રેલીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી સહિતના વરિષ્ઠ આગેવાનો સંબોધન કરશે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!