શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના ચાતુર્માસ-પ્રવેશની ઉજવણી
ગુરુવંદનમ્ના અંતરનાદ સાથે હજારો ભાવિકોએ રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના ચાતુર્માસ-પ્રવેશને વધાવીને ગુરુપૂર્ણિમા ઉત્સવ ઊજવ્યો

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના પાવન સાંનિધ્યમાં પારસધામ, ઘાટકોપર ખાતે આત્મ આરાધ્ય ચાતુર્માસ મંગલ પ્રવેશ અને ગુરુપૂર્ણિમા મહોત્સવ અત્યંત ભવ્યતા, દિવ્યતા અને ગુરુભક્તિના માહોલ વચ્ચે ઊજવાયો.
પરમ ગુરુદેવના બ્રહ્મનાદ સાથે 9 રવિવારની શ્રી ઉવસ્સગહરં સ્તોત્ર સંકલ્પ સિદ્ધિ જપ સાધનાનો મંગલ પ્રારંભ થયો. પોતાના મંગલ બોધવચનમાં પરમ ગુરુદેવે જણાવ્યું કે ચાતુર્માસ માત્ર સંતોના પ્રવેશનો સમય નથી; દરેક હૃદયમાં દેવ, ગુરુ, ધર્મ, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપનો પ્રવેશ કરાવવાનો પાવન અવસર છે.
આ અવસરે 500 ભાવિકોએ શ્રી સામાયિક અને શ્રી પ્રતિક્રમણ સૂત્ર કંઠસ્થ કરવાની અર્પણતા કરી. સમગ્ર ચાતુર્માસના લાભાર્થી શ્રી શાહ પરિવારનું સન્માન, ગુરુપ્રાણ આગમ બત્રીસીની પાંચમી આવૃત્તિનું વિમોચન તથા ‘ચાર ગતિ’ અને ‘લુક ઍન્ડ લર્ન સ્ટોરી બુક’નું વિમોચન કરવામાં આવ્યું.
માનવતાના અનોખા પ્રકલ્પરૂપે પાંચ નવી અર્હમ ઍનિમલ ઍમ્બ્યુલન્સનું લોકાર્પણ, 1000 વિદ્યાર્થીઓને બાઇસિકલ અને 40 દિવ્યાંગ ભાવિકોને ઈ-બાઇક અર્પણ કરવામાં આવી.
ગુરુ મહાનાદ, ભાવિકોની જીવનપરિવર્તનની અનુભૂતિઓ, કલકત્તાના ગુરુભક્તોની પ્રસ્તુતિ, ઐશ્વર્ય નિગમની ભક્તિ સ્તવના અને ગુરુકૃપાને અભિવ્યક્ત કરતી ‘ધ અનસીન હૅન્ડ્ઝ’ નાટિકાની હૃદયસ્પર્શી રજૂઆત સાથે આ દિવ્ય અવસર પૂર્ણ થયો અને આત્મ આરાધ્ય ચાતુર્માસનો મંગલમય પ્રારંભ થયો.




