નેતા વિપક્ષ રાહુલ ગાંધી જૂનાગઢ પહોંચ્યા, પ્રશિક્ષણ શિબિરમાં જિલ્લા કૉંગ્રેસ પ્રમુખોને આપશે માર્ગદર્શન

જૂનાગઢમાં આયોજિત કૉંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખોને માર્ગદર્શન આપવા માટે નેતા વિપક્ષ અને સાંસદ રાહુલ ગાંધી જૂનાગઢ પહોંચ્યા છે.
જૂનાગઢ: જૂનાગઢમાં આયોજિત કૉંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખોને માર્ગદર્શન આપવા માટે નેતા વિપક્ષ અને સાંસદ રાહુલ ગાંધી જૂનાગઢ પહોંચ્યા છે. રાહુલ ગાંધી કેશોદ એરપોર્ટ પર ઉતર્યા બાદ જૂનાગઢ પ્રશિક્ષણ શિબિરમાં પહોંચ્યા હતા. રાહુલ ગાંધીનું પ્રશિક્ષણ શિબિરમાં ભવ્ય સ્વાગત કરવામાંઆવ્યું હતું. કૉંગ્રેસના જિલ્લા પ્રમુખોને રાહુલ ગાંધી માર્ગદર્શન આપશે.
કૉંગ્રેસ હાઇકમાન્ડે પાયલોટ પ્રોજેક્ટ અમલી બનાવી ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને નવું બનાવી રહ્યા છે. કોંગ્રેસ હાઇકમાન્ડે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં સારો દેખાવ કરે તે માટે અત્યારથી તૈયારીઓ શરુ કરી દિધી છે. એવું પણ નક્કી કરાયું છે કે ટોચના કેન્દ્રીય નેતાઓ ચૂંટણી નજીક આવતાં ગુજરાતમાં જ રહેશે.
જૂનાગઢમાં કૉંગ્રેસ પ્રશિક્ષણ શિબિર
કૉંગ્રેસના સંગઠન સૃજન અભિયાન હેઠળ જૂનાગઢમાં 19 સપ્ટેમ્બર સુધી 10 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાહુલ ગાંધી પણ હાજરી આપશે. આ વર્ષે ગુજરાતમાં આયોજિત થનારું પાર્ટીનું આ બીજું પ્રશિક્ષણ શિબિર છે. પ્રથમ પ્રશિક્ષણ શિબિર ગત જૂલાઈ મહિનામાં આણંદમાં યોજાયું હતું. જેમાં રાહુલ ગાંધીએ જિલ્લાના નવનિયુક્ત અધ્યક્ષોને સંબોધિત કર્યા હતા.
પર્ફોમન્સ સુધારવા માટે 90 દિવસનું અલ્ટીમેટમ
કોંગ્રેસના કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે. સી. વેણુગોપાલે શિબિરમાં હાજર પ્રમુખોને સંબોધિત કરતાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જે પ્રમુખો કામ નહીં કરે, તેમના પદ છીનવી લેવામાં આવશે. તેમણે પર્ફોમન્સ સુધારવા માટે 90 દિવસનું અલ્ટીમેટમ પણ આપ્યું હતું. 41 શહેર અને જિલ્લા પ્રમુખોમાંથી 9 પ્રમુખોના નબળા પ્રદર્શન અંગે નારાજગી વ્યક્ત કરી હતી
પ્રશિક્ષણ શિબિરોનું આયોજન 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. ગુજરાત કૉંગ્રેસે હાલમાં જ 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા જિલ્લા સ્તરે પાર્ટીના સંગઠનને મજબૂત કરવા માટે તમામ જિલ્લા કોંગ્રેસ સમિતિઓના નવા પ્રમુખોની નિમણૂક કરી હતી.
અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતની પ્રશિક્ષણ શિબિરમાં ગેરહાજરી જોવા મળી હતી. સતત બીજી શિબિરમાં તેમની ગેરહાજરીને કારણે હાઇકમાન્ડમાં નારાજગી જોવા મળી રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે. સી. વેણુગોપાલે પણ આ અંગે ટિપ્પણી કરતાં કહ્યું કે જે લોકો કામ કરશે તેમને પ્રોત્સાહન મળશે, અને જે લોકો કામ નહીં કરે તેમની પાસેથી હોદ્દો પાછો ખેંચી લેવામાં આવશે.